કંડારાયેલી કેડીઓની પેલે પાર

(સાદર ઋણસ્વીકાર : વિશ્વવિહારમાંથી)

અંગ્રેજી ભાષામાં ત્રણ કાવ્યસંગ્રહ આપનાર એક કવિ, માતૃભાષા પ્રત્યેની સાચી નિષ્ઠાથી ગુજરાતી સાહિત્યમાં રહેલાં ચીલાચાતુર (offbeat) કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કરવાનો એક યજ્ઞ આદરે છે. એ પોતે કવિ છે. સર્જનાત્મક અભિગમ માટે જાણીતા છે એટલે ગુજરાતી કાવ્ય-વિશ્વમાંથી ચીલાચાતરુ કાવ્યો (offbeat poems)ને પસંદ કરે છે અને વિશ્વસાહિત્યમાં ગુજરાતી કાવ્યોની એક વિશિષ્ટ છબી ઊભરી આવે તેવો પ્રયત્ન કરે છે. એ કવિ તે મેનેજમેન્ટના નિષ્ણાત શ્રી પ્રદીપ ખાંડવાલા. એ યોજના એટલે Beyond the Beaten Track નામનું ત્રણસો પૃષ્ઠનું હમણાં પ્રકાશિત થયેલું પુસ્તક. પોતાની સાહિત્યનિષ્ઠાથી ઉપર્યુક્ત આખી યોજના શ્રી ખાંડવાલા ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે પૂર્ણ કરે છે.

પ્રથમ દૃષ્ટિથી સરળ લાગતા આ પુસ્તકમાં એમણે જે જીવ રેડીને આ કામ કર્યું છે એ ઘટના સ્વયં દૃષ્ટાંતરૂપ છે. ગુજરાતી ભાષામાં પ્રતિ વર્ષ, લગભગ બે હજાર કાવ્યો પ્રગટ થાય છે. છેલ્લાં પચ્ચીસ વર્ષના વિવિધ સામયિકોમાં સંખ્યાબંધ કાવ્યો પ્રકાશિત થતાં આવ્યાં છે. પ્રદીપભાઈએ આશરે ચાર હજાર કાવ્યો વાંચ્યાં. તેમાંથી બસો જેટલાં કાવ્યો અલગ તારવ્યાં. નરસિંહ મહેતાથી એટલે કે ૧૫મી સાદીથી માંડી ૨૦૦૮માં કાવ્યસર્જન કરતા કવિઓની કવિતાઓનું પોતાના રસરુચિ, દૃષ્ટિકોણ અને સમજથી ચયન કર્યું. એ બસો કાવ્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. પુસ્તકમાં એક તરફ મૂળ ગુજરાતી કાવ્યની સામે અંગ્રેજી અનુવાદ મૂક્યો. એ પહેલાં દરેક કવિનો, એટલે કે ૧૧૫થી વધુ કવિઓનો સંપર્ક કર્યો. એમને કાવ્યનો અનુવાદ મોકલ્યો. એમની પરવાનગી લીધી. દિવંગત કવિઓના વારસદાર જોડે સંપર્ક કરીને તેમની પરવાનગી લીધી. આને માટે પાંત્રીસેક બેઠકો કરી. આ કાર્યશિબિરમાં અમદાવાદસ્થિત કવિઓને બોલાવ્યા ને અનુવાદિત કાવ્યની ફેરતપાસ કરી.

મુખ્ય પદ્ધતિએ રહી કે પ્રથમ કવિ સ્વયં પોતાના કાવ્યનું પઠન કરે પછી પ્રદીપભાઈ અંગ્રેજી અનુવાદ વાંચે. ત્યાર બાદ કવિ કાવ્યની પહેલી પંક્તિ વાંચે, તરત પ્રદીપભાઈ એ પંક્તિનું ભાષાંતર વાંચે. ઉપસ્થિત કવિ અને બીજા કવિમિત્રો તે અંગે ચર્ચા કરે. અંગ્રેજી શબ્દોના વિકલ્પો શોધે. ફરી ફરીને તપાસ થાય, અંતે બધાનાં સંતોષ સાથે મઠારાયેલું કામ અંકે થાય અને કાવ્ય આગળ વધે. એક કવિના સંતોષ પછી બીજા કવિની કૃતિ લેવામાં આવે. આમ આ કાર્યશાળા ચાલે. આ પુસ્તકની સમગ્ર પ્રક્રિયા સ્વયં એક કાવ્ય જેવી લાગે છે. જોકે કોઈકે કહ્યું છે તેમ અનુવાદનું કામ અત્તરની એક બાટલીમાંથી બીજી બાટલીમાં અત્તર ભરવા જેવું છે. ગમે તેટલી કાળજી રાખો. થોડુંક અત્તર ઊડી જ જવાનું. પણ ઓછામાં ઓછું ઊડે એ અનુવાદકે જોવાનું. જોકે આ પુસ્તકના અનુવાદોમાંથી પસાર થતાં ક્યારેક એમ પણ બન્યું છે કે મૂળ ગુજરાતી અનુવાદ કરતાંય અંગ્રેજી અનુવાદ વધુ આસ્વાદ્ય લાગ્યો છે! પ્રદીપભાઈ પોતે કવિ અને એમનું અંગ્રેજી ભાષા ઉપરનું પ્રભુત્વ પણ પ્રશસ્ય એટલે પણ આમ બન્યું હશે.

પ્રદીપભાઈ બસો કાવ્યોનો અંગ્રેજી અનુવાદ કરી અટકી ન જતાં આગળ વધ્યા. તમામ બસો કાવ્યોને વિષયવસ્તુ, પ્રતીક, કલ્પન, ભાવવિશ્વ, સ્વરૂપ વગેરે અંતર્ગત ૨૭ વિભાગમાં વહેંચ્યા. એટલે કે દરેક કાવ્યને એના ભાવવિશ્વ અને કાવ્યત્ત્વને અનુરૂપ વિભાગમાં મૂક્યું. પુસ્તકની પ્રસ્તાવનામાં એમણે પોતાની પસંદગીનો માપદંડ પણ દર્શાવ્યો છે. પુસ્તકનો ઉદ્દેશ વિશ્વસાહિત્ય સમક્ષ-વિસ્વભરના સાહિત્યરસિકો સમક્ષ ગુજરાતી કાવ્યધારામાં રહેલી અસામાન્ય કૃતિ દર્શાવવાનો છે, સાહિત્યિક મૂલ્યાંકન કરવાનો નહીં. એટલે મોટાભાગના પ્રતિનિધિ (Representative) કવિઓ સમાવિષ્ટ થયા હોવા છતાં કેટલાક અહીં નથી. કેટલાક જાણીતા કવિઓની અજાણી કૃતિ છે, તો અજાણ્યા કવિઓ પણ છે. પરંપરાના કવિઓ સાથે નવોદિતો પણ છે. છંદોબદ્ધ કાવ્યો, અછાંદસ કાવ્યો, ગઝલ, ગીત, હાઈકુ અને ગદ્યકાવ્યો પણ છે. વિવિધ સ્વરૂપના કાવ્યપ્રકારો અને જુદાં જુદાં સ્થળકાળની ભિન્ન ભિન્ન રચનાઓ વચ્ચે પ્રવાહી અનુવાદ અહીં ઉપલબ્ધ થાય છે. મુખ્યત્વે સંપાદકે સમગ્ર અસર નિપજાવતી સર્જનાત્મક કૃતિની પસંદગીનો અભિગમ રાખ્યો હોય તેમ લાગે છે.

હવે વાત પુસ્તકના બ્રાહ્ય સ્વરૂપની. જગત સામે આપણો ખજાનો ખુલ્લો કરવાનો અવસર છે તો જાણે એની સજાવટ પણ એવી જ કરવામાં આવી છે. આ કામ અમિત ખરસાણીએ સુંદર રીતે કર્યું. પુસ્તકમાં એક તરફ દેવનાગરી લિપિમાં ગુજરાતી કાવ્ય અને એની જોડાજોડ અંગ્રજી અનુવાદ મૂકવામાં આવ્યો. છપાઈની એકવિધતા ટાળવા અવનવી પ્રિન્ટિંગ ડિઝાઈન ઊભી કરવામાં અમિતભાઈ ખૂબ સફળ રહ્યા. પ્રદીપભાઈ અને અમિતભાઈ કલાકો સુધી કમ્પ્યૂટર ઉપર મથતા રહ્યા અને અંતે પુસ્તકને જે સ્વરૂપ મળ્યું તે સોળે કળાએ મોરી ઊઠ્યું. અમિતભાઈ જેવા સાવાયા સાહિત્યરસિકો કશી પણ અપેક્ષા વગર આખું પુસ્તક તૈયાર કર્યું. છેલ્લે મુખ્ય સમસ્યા આવી આર્થિક સવલતની. આવું સુંદર કામ જોઈ નીતિનભાઈ શુક્લનો સાહિત્યરસિક જીવ પ્રસન્ન થઈ ગયો. ગુજરાતના કવિઓના એ ચાહક. ભાષાપ્રેમી અને કર્મનિષ્ઠા નીતિનભાઈ શુક્લે એ ભાર હળવો કર્યો. આ કામ માટે આર્થિક સહયોગ આપીને હજીરા એલએનજીએ ગુજરાતના ઉદ્યોગગૃહોને જાણે એક દિશા ચીંધી, દાખલો બેસાડ્યો. સાથે સાથે મું. ધીરુભાઈ ઠાકર અને કુમારપાળ દેસાઈનું પ્રેમભર્યું પીઠબળ મળ્યું. પણ સૌથી વધુ હિંમત નિરંજન ભગતે આપી. આખા ચયનમાંથી પસાર થઈ સંતોષ વ્યક્ત કર્યો ત્યારે અમને આ યજ્ઞની સાચી સફળતા લાધી.

ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ વિચાર કરીએ તો અન્ય ભાષાઓમાંથી સાહિત્યસામગ્રીની જેટલી આયાત થાય છે તેટલી નિકાસ થતી નથી. આશા રાખીએ કે 'Beyond the Beaten Track'ની  જેમ ગુજરાતી સાહિત્ય અંગ્રેજીમાં અને અન્ય ભાષાઓમાં અનુવાદિત તતું રહે.
- રાજેન્દ્ર  પટેલ

0 comments: