જીવનની ઢળતી સંધ્યાએ નથી ખેદ કે નથી ખટકો..

(સાદર ઋણસ્વીકાર : સાંધ્યદીપ’માંથી)

- શ્રી જયવતીબહેન કાજી

સારવારના લગભગ સાત વાગ્યા છે. હું મલબારહિલ પર આવેલા હેંગિગ ગાર્ડનની (સર ફિરોજ શાહ મહેતા ગાર્ડનની) એક પાટલી પર ચાલી લીધા પછી બેઠી છું; ત્યાં સામેથી પગથિયાં ચઢીને આવતાં શાલિનીતાઈ પર મારી નજર પડે છે. સુતરાઉ સાદી સફેદ સાડી, શ્વેત કેશ અને ખભે ભેરવેલો એક થેલો. મોં પર પ્રસન્નતાની આભા, હોઠ પર સ્મિત, આંખમાં ચમક, લાકડી વગરની ટટ્ટાર ચાલ, યુવાનને શરમાવે તેવો ઉત્સાહ અને હસમુખો સ્વભાવ. અમને જોઈ કોણ કહે કે તેઓ જીવનના સાડા આઠ દાયકા વટાવી ચૂક્યાં છે! બધાં જ એમને પ્રેમથી બોલાવે છે, આ છે શાલિનીતાઈ ચિરપુટકર.

ગાર્ડન પર સામસામે ગોઠવેલી ચાર પાટલીઓ પર બેઠેલી બહેનોના એ ખબરઅંતર પૂછે છે અને કહે છેઃ ‘રમાબહેન! આજે તમારે માટે ડસ્ટર લઈ આવી છું. એક ડઝન છે.’ કહી રમાબહેનને ડસ્ટરનું પેકેટ આપે છે. તો અમૃતાબહેનને જોઈતી થેલીઓ બીજે દિવસે લાવી આપવાનું કહે છે.

‘શાલિનીતાઈ! હું આવતી કાલે કલકત્તા જાઉં છું. એક મહિના પછી આવીશ. આવીને તમને મળીશ.’ મોહિની એમને કહે છે.

‘હા, કેમ નહિ? જો હું ઉપર નહિ ચાલી ગઈ હોઉં તો!’ હસીને તેઓ કહે છે.

‘તમારે ઉપર જઈને શું કરવું છે? અહીં જ કામ ક્યાં ઓછું છે!’ હું એમને હસીને કહું છું, અને એ પણ ખડખડાટ હસી પડે છે. તેઓ હસી શકે છે, પ્રશન્ન રહે છે, બધાં એમને બોલાવે છે, કારણ કે એમનામાં એક પ્રકારની કોઠાસૂઝ છે. જીવનનો અને સાથે સાથે અનિવાર્ય એવી વૃદ્ધાવસ્થાનો અને એની અનેકવિધ સમસ્યાઓનો સ્વીકાર છે. જીવન પ્રત્યે એક આસાવાદી, વિધેયક અભિગમ છે. વૃદ્ધાવસ્થાને નિરર્થક, નકામી, નીરસ અને દુઃખદ કરવાને બદલે એને સાર્થક કરવાનો કીમિયો એમની પાસે છે.

‘મારાં છોકરાંઓ મારું સાંભળતાં નથી. મારી સાથે ઘરમાં કોઈ વાત કરતું નથી, મારી કોઈને પડી જ નથી, બધાં જ સ્વાર્થી થઈ ગયા છે, મારા પગ બહુ દુઃખે છે, અને આ હાઈ બલ્ડપ્રેશરથી તો તોબા.’ આવી જાતજાતની ફરિયાદ આપણે વૃદ્ધોને મોંએ સાંભળતા હોઈએ છીએ. ઘડપણમાં માણસને થાય કે હવે હું નકામો થઈ ગયો છું. બધાં મારી અવગણના કરે છે. આમાં તથ્ય હોય છે, પણ એનો સીધેસીધો ઉત્તર આપવો મુશ્કેલ છે. મનુષ્યની આયુષ્ય રેખા વિજ્ઞાને લંબાવી દીધી છે. વૃદ્ધજનોની સંખ્યા દુનિયાભરમાં વધી રહી છે. એ એક વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક સમસ્યા થઈ પડી છે.

પરંતુ શાલિનીતાઈને આવી કોઈ ફરિયાદ નથી. ૮૬ વર્ષે પણ આંખ અને કાન સારાં છે. એકલાં ચાલતાં જઈ શકે છે. સવારે સાડાચારે ઊઠવાનું, પછી સ્નાન વગેરે કરી જ્ઞાનેશ્વરીનો પાઠ, નામસ્મરણ અને પછી આરામથી ફરવા નીકળી પડવાનું. મુંબઈમાં એમને ઘેર ગામદેવીથી હેંગિંગ ગાર્ડન ચાલતાં ચાલતાં આવી પહોંચે. કોઈ કોઈ દિવસ ચોપાટી પરના નાનાનાની ગાર્ડન ચાલતાં જાય.

‘હું શું કરું! મારો સમય જતો નથી. બહુ એકલું લાગે છે.’ આ વાત જ એમને સમજાતી નથી! કારણ કે છેલ્લા પચ્ચીસ વર્ષથી તેઓ દિવસના છ થી સાત કલાક સિવવાના મશીન પર હાથપર ચલાવતાં હોય અને અંતરમાં ઈશ્વરનું નામસ્મરણ ચાલતું રહે! એમને તો સમય જ ઓછો પડે છે!

એમણે શોધી કાઢ્યું છે કે જીવન એટલે સતત સમાધાન. એમને ત્રણ દીકરીઓ છે અને એક દીકરો છે, પુત્રવધૂ અને પૌત્ર છે. બધાં સંતાનોને એમણે સારું શિક્ષણ આપ્યું છે. પૌત્ર અમેરિકામાં અભ્યાસ કરે છે. એક દીકરી વર્ષોથી અમેરિકામાં વસવાટ કરે છે અને એક દીકરી પૂનામાં એનાં પરિવાર સાથે છે. ત્રીજી દીરકી મુંબઈમાં જ છે.

‘આ બધાં મારી ખૂબ સંભાળ રાખે છે. પૂત્રવધૂ ખૂબ જ કુશળ અને પ્રેમાળ છે. મને ૬૦ વર્ષ થયાં અને મેં ઘરનો બધો કારભાર અને જવાબદારી મારી પુત્રવધૂને સોંપી દીધાં. હું એમના કોઈ કામમાં વચમાં આવતી નથી. માંગ્યા વગર સલાહ આપતી નથી. બધાં પોતપોતાનાં કામમાં વ્યસ્ત હો અને હું મારા કામમાં! ઘરમાં હું તો મહેમાનની માફક આનંદથી રહું છું. મારું પોતાનું કામ હું જાતે કરું છું. મારાં કપડાં પણ હું પોતે ધોઈ લઉં છું. મારો પૈત્ર, મારી પુત્રી બધાં મને અમેરિકા બોલાવે છે. ચાર પાંચ વખત હું અમેરિકા જઈ આવી છું. સ્વિટ્ઝરલેન્ડ પણ જઈ આવી છું. હવે કશે જવું નથી! બીજાંને તકલીફમાં નથી મૂકવાં!’

શાલિનીતાઈનો જન્મ ઈ.સ. ૧૯૧૭માં જૂનાગઢના દિવાનને ઘેર. ગુજરાતી ચાર ચોપડી જૂનાગઢમાં ભણ્યાં, થોડુક મરાઠી કોલ્હાપુરમાં ભણ્યા. પંદર વર્ષની વયે એમનું લગ્ન થયું. એમના પતિ સુશિક્ષિત અને ગાંધીજીના રંગે રંગાયેલા. એમના પતિનું પ્રોત્સાહન એમને સતત મળતું રહ્યું, એટલે એમણે રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માંડ્યો. પિકેટિંગ કરવા જતાં. ખાદીની ફેરી કરતાં. કોગ્રેસનું અધિવેશન હોય, મીટિંડ હોય, ત્યારે તેવો વોલન્ટિયર તરીકે સેવા આપતાં. ૧૯૪૩માં તેઓ ગામદેવીમાં ‘સેવાસદન’ સંસ્થાની નજીક રહેવા આવ્યાં. ‘સેવાસદન’માં એમણે અંગ્રેજી અને સીવણ શીખવા માંડ્યું.

સીવણ-ભરતગૂંથણનો એમને શોખ હતો, એટલે ઘેર જાતજાતની પર્સ, બટવાઓ, થેલી, ગોદડીઓ ટેબલમેટ્સ વગેરે બનાવે અને પોતાના ઓળખીતાઓને પ્રેઝન્ટ આપે. એમના પતિએ એમને એક દિવસ કહ્યું :

‘તું તારી બનાવેલી ચીજો વેચે અને એ પૈસા કોઈ સંસ્થાને દાનમાં આપે તો કેવું!’ બસ! પછી તો થઈ રહ્યું. કામ શરૂ થઈ ગયું. પોતે જાતજાતનું બનાવે, વેચે પણ એક પાઈ પણ પોતાની પાસે રાખે નહિ. સંસ્થાને આપી દેવાનું! આમ એમનો શોખ એમને સમાજસેવા તરફ લઈ ગયો.

શારદામંદિર શાળાને જો કોઈ વસ્તુની જરૂર હોય - ખુરશી, ટેબલ, સ્પીકર્સ, ચીજ વસ્તુઓ મૂકવા માટેના સ્ટેન્ડ કે વાસણો એ બધું શાલિનીતાઈ મેળવી આપે! ‘સેવાસદન’માં તો એમની મદદ હોય જ. આર્ય મહિલા સમાજમાં તેઓ પચ્ચીસ વર્ષ કામ કરતાં રહ્યાં પુણેના હિંગણે આશ્રમને ભાઈબીજ નિમિત્તે રકમ એકઠી કરીને મોકલે જ. હમણાં થોડા સમય પહેલાં જ એમના વતન કોંકણના મુરાર ગામની સાળા માટે એમણે પચ્ચીસ હજાર રૂપિયા દાનમાં આપ્યા. અત્યાર સુધીમાં એમણે લગભગ પાંચ લાખ રૂપિયા જેટલું ડોનેશન જુદી જુદી સંસ્થાઓને મેળવી આપ્યું છે.

શાલિનીતાઈ ઘણું ઓછું ભણ્યાં છે પણ વાંચનનો એમને ભારે શોખ છે. જીવનચરિત્રો વાંચવા એમને બહુ ગમે છે. મહાત્માં ગાંધીજીના વર્ધા આશ્રમમાં આઠ-દસ દિવસ રહેવાની એમને તક મળતી હતી ત્યારે તેઓ વિનોબાજી, દાદા ધર્માધિકારી વગેરે કાર્યકર્તાઓના સંપર્કમાં આવ્યાં હતાં.

નામસ્મરણ અને જ્ઞાનેશ્વરી એમને આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ આપતાં રહ્યાં છે. સમસ્યાઓ તો જીવનમાં આવવાની જ પણ આ ઉંમરે એમને કશો ખેદ નથી ખંત! સંતોષ છે, તે બરાબર છે. પ્રભુએ જે આપ્યું છે, જે કર્યું છે તે બરાબર છે એવી એમની ઊંડી શ્રદ્ધા છે.

આટલું લાંબુ આયુષ્ય આપ્યું, સ્વાસ્થ્ય આપ્યું તે એની કૃપા જ ને! એટલે તો હજી લાકડીની જરૂર નથી પડતી અને હાથ મશીન પર ચાલતા રહે છે.

વૃક્ષોની ઘટામાંથી ઊંચે આવતાં સૂર્યને નિહાળતાં તેઓ કહે છે : ‘મારે આ જોઈએ અને તે જોઈએ- આમ કેમ થયું અને તેમ કેમ ન થયું’ એવો ચિત્તમાં કોઈ ઉદ્વેગ, અફસોસ કે સંઘર્ષ નથી.

‘શાલિનીતાઈ! તમારે કોઈને કંઈ પણ સંદેશો આપવાનો હોય તો તમે શું આપો? જીવનમાંથી તમને શું સાંપડ્યું છે?’

મને કહે, ‘જયવતીબહેન! ઈશ્વરમાં શ્રદ્ધા જોઈએ. નામસ્મરણ ચાલુ રાખો. તમારી કંઈ ભૂલ હોય તો એ સ્વીકારો. એની જવાબદારી લો. વધુ પડતી અપેક્ષાઓ-પોતાની જાત પાસેની અને અન્ય લોકો પાસેની દુઃખનું મૂળ છે. કોઈ આપણે માટે કંઈ કરે તો સારું, ન કરે તો માની લેવું કે એની મજબૂરી હશે. અહં છોડો મને આણે માન ન આપ્યું - મારી સાથે બરાબર વાત ન કરી - આ બધું ભૂલી જાવ. આપણી ખુશી, આપણી શાંતિ અને આપણું સુખ આપણે પોતે જ નિર્માણ કરવાનું છે. મારા ગુરુજી પાસેથી હું જે શીખી છું તે તમને કહું :

આનંદી, આત્મવિશ્વાસુ, સદાચારી સદા સુખી!

‘હવે તમારી કોઈ ઈચ્છા છે?’

‘જયવતીબહેન! હવે શું ઈચ્છા હોય! આપને આમ હાલતી-ચાલતી-કામ કરતી રહું અને ભગવાન ઉપર બોલાવી લે.’

શાલિનીતાઈ ઘેર જવા માટે ઊઠ્યા. થોડી જ વારમાં એમણે એ સુંદર પ્રભાતે જીવનની ઢળતી સંધ્યાને અજવાળી કરવાની સુવર્ણ ચાવી મને બતાવી હતી.

(શ્રી જયવતીબહેન કાજીઃ જાણીતાં સાહિત્યકાર અને કોલમિસ્ટ


રૂપાળાં મઝાના બાળકો યુવકો કુદરતનું આકસ્મિક સર્જન છે, જ્યારે રૂપાળાં મઝાનાં વડીલો એ તો કલાનો નમૂનો છે.

જે માણસે માત્ર આનંદ પ્રમોદને જ પોતાનું લક્ષ્ય રાખ્યું હોય એને વૃદ્ધાવસ્થા નડે એ સ્વાભાવિક છે. મેં મારા જીવનનાં લક્ષ્યો નક્કી કરેલાં. એ એટલાં ઊંચા હતાં કે આજે પણ મને એ દોર્યા કરે છે.

પોતાની શક્તિઓના ઉપયોગ માટે કાંઈક પ્રવૃત્તિ તો જોઈએ જ. મને આ વાતનો ખ્યા પહેલેથી આવી ગયેલો. એટલે જ વૃદ્ધાવસ્થાનો થોડોય સ્પર્શ હજી લગી મને થયો લાગતો નથી. જેઓ જીવનનો સાચો આનંદ અનુભવી શકે છે, ને જે પોતાના મનગમતા કાર્યની મજા માણી શકે છે એમને વૃદ્ધાવસ્થા કાંઈ શકતી નથી.
- બર્નાલ્ડ રસેલ

0 comments: