લલિત નિબંધ - સ્પર્શ


(સાદર ઋણસ્વીકાર : અખંડ આનંદમાંથી)

-લાભશંકર ઠાકર

સ્પર્શ વિશે લખવાની તત્પરતા છે.
સ્પર્શ એ વિષય છે. સ્પર્શેન્દ્રિયનો વિષય છે. જ્ઞાનેન્દ્રિયોના વિષય માટે પ્રાચીનો એર્થશબ્દ પણ વાપરે છે. જગતનું વિશ્વનું આકલન આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા કરીએ છીએ. જગત (જગતના પદાર્થો) ઉષ્ણ અને શીત છે તેનું જ્ઞાન આપણને સ્પર્શની ઇન્દ્રિય દ્વરા થાય છે. પદાર્થો લીસા છે કે ખરબચડા, સ્નિગ્ધ છે કે રુદ્ર તેની જાણા પણ સ્પર્શની જ્ઞાનેન્દ્રિય દ્વારા થાય છે. સ્પર્શની ઇન્દ્રિયનું નામ આશ્રયસ્થાન છે ત્વચા

લીસા, મુલાયમ, સુંવાળા, સ્નિગ્ધ પદાર્થોનો અનુભવ સ્પર્શ કરાવે છે. શિયાળામાં કોકરવરણો તડકો કેવી મીઠી હૂંફ આપે છે ! નહાવાનું પાણી પણ હૂંફાળું હોય તો ગમે છે. આ સ્પર્શ સુખોષ્ણ હોવો જોઈએ. સુખ થાય એવો ઉષ્ણ હોવો જોઈએ. ઉનાળામાં શીતળ સ્પર્શની અભિલાષા થાય છે. સહશયન કરતાં પ્રિયજનનો ઉષ્ણ સ્પર્શ શીતકાલમાં ગમે છે. તો ગ્રીષ્મમાં પ્રિયજનનાં ગાત્રો શીતળ હોય તો વહાલાં લાગે છે.

 શકુન્તલા દુષ્યંતને પ્રેમપત્ર લખે છે. એ સમયે કાગળ અને લેખિની શોધાયાં ન હતાં. લિખ ધાતુ પરથી લેખન શબ્દ આવ્યો છે. એ ધાતુનો અર્થ થાય ખોતરવું. શકુન્તલા કમળાના પાંદડા પર ખોતરીન લખે છે. કમલપત્રના સ્પર્શનું કાલિદાસે વર્ણન કર્યું છે. કેવો છે એ સ્પર્શ ? ‘સુકુમાર સ્પર્શ છે. કોના જેવો સુકુમાર ? શકોદર-સુકુમાર નલિનીપત્રમ્. શુક્ર (પોપટ)ના ઉદર જેવું સુકુમાર છે નલિની (કમલિની) પત્રમ્ !

સ્પર્શની કવિતાઓ તો અપરંપાર છે. યાજ કરવા બેસું તો આ ક્ષણે બધી કંઈ યાદ ન આવે. એમ જ અનાયાસ મનમાં ઊપસી આવે છે સર્વપ્રથમ તે બળવંતરાયના એક સોનેટની પંક્તિં.

ગોરું ચૂસે અખૂટ રસથી અંગૂઠો પદ્મ જેવો.

આ પંક્તિમાં સ્પર્શ અને સ્વાદ છે તો બાળકને જોતા પિતાની દ્રષ્ટિ, ચાક્ષુષ ચિત્ર પણ આલેખે છે. વળી, પંક્તિના સ્વરવ્યંજનો શ્રવણીય અનુભૂતિ પણ કરાવે છે.

કવિ સુન્દરમનું
પુષ્પ થૈ આવીશ કાવ્ય યાદ આવી જાય છે. કવિ કહે છે:

હું પુષ્પ થૈ આવીશ તારી પાસામાં વૃક્ષ નીચે તું નાનું બાળ રમતું હશે ત્યારે-

હું ટપ દઈ તારા શિરે ટપકીશ-

માથા પર ખરતા ફૂલનો મૃદુ સ્પર્શ અહીં અનુભવાય છે.

નલિન રાવળનું એક સુંદર કાવ્ય છે
: ‘એક નામેરી વૃદ્ધને મળતાં. એમાં સ્પર્શક્ષમ ચિત્રો સરસ છે. યુવાસ્થાના પોતાના વાળનું વર્ણન નાયક કરે છે :

અંધારના મખમલ મુલાયમ પોત શા મારા સુંવાળા વાળ-

પ્રિયકાન્ત મણિયારનું
અશ્વ નામનું સુંદર કાવ્ય છે. સ્ટેન્ડ પર ઊભી રહેલી ઘોડાગાડી પર પડતા અષાઢના ધોધમાર વરસાદ વર્ણનમાં સ્પર્શથી અનુભવાય એવાં અનુપમ વર્ણનો છે. બ્રશ સમી કાપેલ ઘોડાની કેશવાળીમાં તો જળ કેટલું રોકાય ? લિસ્સી રુંવાટી પરથી રહેલા અને અશ્વની કાંધ પરના ભારમાં, સામાનમાં ભરાયેલાં જળનું વર્ણન સ્પર્શાનુભૂતિ કરાવે છે.

એક્વેરિયમમાં પુરાયેલી માછલીની સૃષ્ટિનું નિરંજન ભગત સ્પર્શક્ષમ ચિત્ર આપે છે
:

અહીં કઠોર, કાંકરેટ કાચની નઠોર, જૂઠ, સૃષ્ટિ આ ન સાચની.

ઠકાર અને ટકાર અહીં શ્રવણીય કઠોર સ્પર્શનો અનુભવ કરાવે છે. ઘણું ઘણું મનમાં ઊપસી રહ્યું છે, પણ કોલમની નિશ્ચિત જગ્યા હવે પૂરી થવા આવી છે. સત્યજિતની સર્વપ્રથમ ફિલ્મ પથેરપાંચાલીમાં અષાઢના પ્રથમ વરસાદના પ્રથમ ફોરાનો સ્પર્શ. સત્યજિતના ટિપિકલ હ્યુમર સાથે ચાક્ષુષ થયો છે. તળાવકાંઠે કળશિયો માંજવા બેઠેલા એક ટાલિયાના મસ્તક પર પ્રથમ ફોરું ઝિલાય છે અને સત્યજિત કેમેરાની આંખથી એ ફોરાને જોઈ રહ્યે છે.

સ્પેનિશ ભાષના પ્રસિદ્ધ તત્વચિંતક ઓર્તેગાનું પુસ્તક
મેન એન્ડ પીપલ આજકાલ વાંચી રહ્યો છું.  ઓર્તોગા એક જગ્યાએ કહે છે કે દ્રષ્ટિને સહુથી વધારે મહત્વની ઇન્દ્રિય માનવામાં ગંભીર ભૂલ છે. સ્પર્શ જ, મનોદૈહિક દ્રષ્ટિબિંદુથી, પ્રથમ, આદ્ય જ્ઞાનેન્દ્રિય હોવાનો વધરે સંભવ છે. જગતના અન્ય પાદર્થોની અલગતા, ભિન્નતા ધીમે ધીમે સ્પર્શથી પમાય છે. બીજા પદાર્થો સાથેના સંયોગનું નિર્ણાયક સ્વરૂપ ખરું જોતાં સ્પર્શ છે. ગતમાં બંધારણનું અનિવાર્યપણે સહુથી વધારે નિર્ણયાત્મક કારણ સ્પર્શ, સ્પર્શથી થતો સંપર્ક છે.

અન્ય પદાર્થની કઠિનતાથી સ્પર્શાનુભવ થાય છે તે ક્ષણે શરીર અને પદાર્થ અડોઅડ, લગોલગ, ચપોચપ હોય છે. આપણા શરીરને કઠિન પદાર્થ અટકાવે છે, ખાળે છે. એ પદાર્થ આપણા શરીરનો વિરોધ કરી, પ્રતિકાર કરી આપણી માંસપેશીઓને દબાવે છે. ઓર્તેગા કહે છે કે સ્પર્શ-સંયોગમાં આપણું શરીર પદાર્થોનો અનુભવ અંદરથી, ભીતરથી કરે છે. દ્રશ્યનો અનુભવ દૂરનો છે. ગંધ નાકના રંધ્રમાં અનુભવાય છે, સ્વાદ મોંનોં સ્વાદકેન્દ્રોથી અનુભવાય છે. આ અનુભવો આપણી દૈનિક સપાટીના કેટલાક ભાગો દ્વારા થાય છે. સ્પર્શસંયોગમાં પદાર્થને આપણે શરીરની અંદર અનુભવીએ છીએ.

ગર્ભાશયમાં વિકસિત બાળકના સર્વપ્રથમ ઇન્દ્રિયાનુભવો હશે તે સ્પર્શના જ હશે ને
? જનનમાર્ગમાંથી અવતરતાં અને બહારના હાથોમાં ઝિલાતાં અને વ્યવસ્થા પામતાં નવજાત શિશુના આદ્ય અનુભવો પણ સ્પર્શના હશે ને ?

માતા-પિતા-વડીલોના દર્શન કે શબ્દથી બાળક સલામતી (સક્યૂરિટી)નો ભાવ અનુભવે છે, પણ વિશેષ સલામતી, રક્ષણ તો સ્પર્શથી જ અનુભવે છે. અસલામતીની ક્ષણોમાં બાળક માબાપને વળગી પડે છે, ચોંટીં જાય છે ઇન્જેક્ષન લેવા માંડ માંડ તૈયાર થતું બાળક માતા કે પિતાને કહેતું હોય છે
: ‘તમે મને પકડી રાખો.

અત્યંત દુ
:ખની ક્ષણોમાં માણસના માથે-ખભે-બરડા પર હાથ મૂકવાથી અને પંપાળવાથી જે આશ્વાસન મળે છે તે શબ્દથી મળતું નથી.

રતિ-કામના સાદ્યન્ત અનુભવમાં બીજી ઇન્દ્રિયોનો ફાળો તો ખરો જ, પણ સ્પર્શ એમાં પરાકોટિનો અનુભવ કરાવે છે. મનોદૈહિક ચેતનાને તીવ્રતમ જાગ્રત કરવામાં સ્પર્શની ઇન્દ્રિય નખશિખ સર્વવ્યાપ્ત છે.

ચકસંહિતાના શરીરસ્થાનમાં અત્રે. કહે છે : ‘સ્પર્શેન્દ્રિયનો સંસ્પર્શ તથા માનસ સ્પર્શ એમ બે પ્રકારનો સ્પર્શ જ સુખદ:ખોના અનુભવોનો પ્રવર્તક કે હેતું છે. આ વિવરણમાં ચક્રપાણિ લખે છે, હરકોઈ વિષયની સાથે ઇન્દ્રિયોનો જે સંબંધ થાય છે, તે સ્પર્શેન્દ્રિયને લીધે થાય છે, ચક્ષુ વગેરે ઇન્દ્રિયો પણ સ્પર્શ કરેલા વિષયને જ ગ્રહણ કરે છે, નહીં કે સ્પર્શ નહીં કરેલા વિષયને તે ગ્રહણ કરે છે.

તાત્પર્ય એ છે કે ચક્ષુ, શ્રવણ, રસના અને નસોમાં રહેલી તે તે ઇન્દ્રિયો પણ તે તે સ્થાનમાં વિષયનો સ્પર્શ થયા વગર જ્ઞાનનો અનુભવ કરી શકતી નથી. આમ, સ્પર્શની ઇન્દ્રિય વ્યાપક છે. આયુર્વેદમાં
સ્પર્શ શબ્દ મન તથા જ્ઞાનેન્દ્રિય માત્રના પોતપોતાના વિષય સાથેના સંસર્ગમાં વ્યાપક અર્થમાં પણ પ્રયોજાયો છે. આ વ્યાપક અર્થમાં જ્ઞાનેન્દ્રિય એક જ છે, અને તે સ્પર્શનેન્દ્રિય.

કવિ નિરંજન ભગત કહે છે
: ‘ લાવો તમારો હાથ, મેળવીએ. આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો છે. બે મનુષ્ય હાથ મેળવે છે ત્યારે એમાં પરસ્પરના હૃદયના ભાવ ભળે છે. સ્પર્શમાં હૃદયનો થડકાર અને ઉષ્મા છે
(
ક્ષાણ-તત્ક્ષણ)

ને પ્રભુ રડી પડ્યા !

અમેરિકા, જાપાન અને ભારતના રાષ્ટ્રીય વડાઓ ભગવાનને મળવા ગયા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ભગવાનને પૂછ્યું કે મારા દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદ થશે
? ભગવાને કહ્યું, ત્રીસ વર્ષ લાગશે. આ સાંભળી અમેરિકન પ્રમુખની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં કે એમના કાર્યકાળમાં લાંચરુશવત નાબૂદ થશે નહીં. પછી જાપાનના વડાએ પ્રભુને પુછ્યું, મરા દેશમાં ભ્રષ્ટાચાર ક્યારે નષ્ટ થસે ?’ ભગવાને જવાબ આપ્યો, પચાસ વર્ષ લાગશે. મારા કાર્યકાળ દરમિયાન જાપાનમાં ખાયકી દૂર નહીં થાય એ જાણી ત્યાંના વડા રડવા લાગ્યા.

ત્યાર બાદ ભારતના રાષ્ટ્રીય વડાનો પ્રશ્ન પૂછવાનો વારો આવ્યો. તેઓ પ્રશ્ન પૂછે એ પહેલાં ખુદ ભગવાન રોવા લાગ્યા.
કેમ રડો છો ભગવાન ?’  ભગવાને કહ્યું, અરેરે! મારી હયાતી દરમિયાન ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર નહીં થાય!’

0 comments: