(સાદર ઋણસ્વીકાર : ‘કલ્પવૃક્ષની છાયામાં’માંથી)
આધુનિક અમેરિકન મનોવિજ્ઞાનના પિતા ગણાતા વિલિયમ જેમ્સે એક જગ્યાએ લખ્યું છે કે ઓગણીસમી સદીની મહાન શોધો ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રમાં નથી થઈ. 19મી સદીની મહાન શોધ રહી છે ‘‘શ્રદ્ધાના સ્પર્શવાળી મનની શક્તિ.’’ તે કહે છે. દરેક માનવમાં આ અમાપ શક્તિનો અનંત ઝરો છે જેની સહાયથી કોઈ પણ સમસ્યા ઉકેલી શકાય છે.
પણ મનની શક્તિથી સુખ મળી શકે?
હા, મળી શકે.
પ્રશ્ન એ છે કે સુખ ક્યારે મળે ?
સાચું અને શાશ્વત સુખ આપણા જીવનમાં તે ક્ષણે આવશે જ્યારે આપણને એ સાક્ષાત્કાર થશે, સમજ આવશે કે આપણી કોઈ પણ નબળાઈને આપણે પાર કરી શકીએ છીએ; એ ક્ષણે આવશે કે જ્યારે આપણે એ અનુભવશું કે આપણું મન આપણા પ્રશ્નોને હલ કરી શકે છે, અતિક્રમી શકે છે, આપણા શરીરને સાજું કરી શકે છે, આપણાં સ્વપ્નોને સાકાર કરી શકે છે.
બસ ! તે ક્ષણે આપણે સુખી જ હોઇશું.
આપણને અત્યારે ક્યારે સુખ મળે છે ? ઘરમાં બાળક જન્મે, લગ્ન થાય, કોલેજમાં ગ્રેજ્યુએટ થઈએ, ઇનામ મળે, પ્રમોશન મળે, ગમતી વ્યક્તિ મળે, પ્રવાસ કરીએ... વગેરે, વગેરે ! આવી અગણિત યાદી તૈયાર કરી શકીએ જેના દ્વારા આપણે સુખ મેળવવા પ્રયત્ન કરીએ છીએ.
પણ, વાસ્તવમાં, તે બધાં શાશ્વત સુખ આપી શકે ?
અંતરના ગહનતમ ભાગમાંથી આપણે સમજીએ છીએ કે આ બાબતો કાયમી સુખ નથી આપી શકતી. આ અનુભવો અદભુત છે, પણ શાશ્વત નથી. બાળક મૃત્યુ પામે તો ? લગ્નજીવન નિષ્ફળ જાય તો ? પાસ થયા પછી નોકરી-ધંધો ન મળે તો ? ગમતી વ્યક્તિ બેવફા નીકળે તો ? એટલે આ બધા ઉત્તમ અનુભવો ક્ષણિક નીકળે છે - પરપોટા જેવા !
એટલે જ, એના જ જવાબમાં, એક વિચારક કહે છે કે, ‘‘જે ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે તે સુખી છે.’’ આનો અર્થ આપણે એવો કરી શકીએ કે જો વ્યક્તિ પોતાના મનની ડહાપણ શક્તિ પર ભરોસો રાખે, તે પોતાને દોરે, માર્ગદર્શન આપો, પોતાના માર્ગોને દિશાસૂચન આપે... તો વ્યક્તિ શાંત અને સ્વસ્થ બનશે. વ્યક્તિ જેવી સર્વ તરફ પ્રેમ, શાંતિ અને શુભેચ્છા પ્રગટ કરે છે કે તરત જ તે પોતાના જીવન માટે, આવનારા દિવસો માટે, સુખનું બહુમાળી મકાન બાંધવાની શરૂઆત કરે છે.
સુખ માટે પ્રથમ એ વાત યાદ રાખવાની જરૂર છે કે ‘‘સુખ એ મનની સ્થિતિ છે.’’ કોઈ પણ વ્યક્તિએ યાદ રાખવું પડશે કે સુખ દુઃખ - બન્નેમાંથી ગમે તે આપણને ‘પસંદ’ કરવાની ‘છૂટ’ છે. આ વાક્ય વિચિત્ર રીતે સાદું લાગે છે ને ! તે છે ! કદાચ તેથી જ મોટા ભાગના લોકો સુખના માર્ગમાં ઠેસ ખાધા કરે છે. તેમને સુખ મેળવવાની આ સાદી ચાવી મળતી નથી. સાચી વાત તો એ છે કે જીનમાં મહાન સત્યો સાદાં, ગતિશીલ અને સતર્ક હોય છે. તેઓ જ સુખ-શાંતિ આપી શકે છે.
એટલે, પાયાની વાત એ યાદ રાખવાની જરૂર છે કે સુખની ટેવ પાડવી પડશે. જીવનમાં સુખને પસંદ કરવું પડશે. અત્યારે જે દુઃખનો શોખ કેળવ્યો છે, દુઃખને પાળ્યું છે, દુઃખને વળગી બેઠા છીએ - તે ટેવ છોડવી પડશે. સતત સુખના વિચાર કરવા પડશે, તેને જીવવું પડશે.
પણ સુખની ટેવ પાડવી કેમ ?
દરરોજ પ્રભાતના જ્યારે આપણી સુંદર આંખો ગાઢ અંધકારને છોડી પ્રકાશના આકાશમાં ખુલે ત્યારે તરત જ ઊભા ન થતાં શાતિંથી પથારી પર જ આસન લઈ આવું વિચારવું : ‘પરમ કૃપાળુ કુદરત આજે અને દરરોજ સવારે મારા જીવનની સંભાળ રાખે છે, આજે સમગ્ર દિવસ મારા હિત માટે જ હશે, આજનો દિવસ મારા માટે અદભુત અને નૂતન દિવસ છે, આવો અદભુત દિવસ ફરી નહીં આવે. આજે આખો દિવસ મને પ્રભુનું માર્ગદર્શન મળ્યા કરશે અને હું સમૃદ્ધ જ થઈશ. દિવ્યપ્રેમ મને વીંટળાઈ વળ્યો છે, મને પોતામાં સમાવે છે અને મને પરમ શાંતિની અનુભૂતિ થાય છે. જ્યારે જ્યારે શુભ પ્રત્યેથી મારું મન ભટકવા લાગશે ત્યારે તરત હું શુભ અને કલ્યાણકારી તત્વ પર વિચાર કરીશ. હું વિશ્વનાં સઘળાં શુભ તત્વોને મારાં માનસિક લોહચુંબકથી આકર્ષીશ. આજે હું અવશ્ય સુખી થઈશ.
દરરોજ આ વિચારથી દિવસની શરૂઆત કરવી. આ વિચાર પચતો જશે કે તરત વ્યક્તિ સુખને પસંદ કરતી જશે. તે પ્રકાશમાન અને સુખી વ્યક્તિ બનતી જશે. સમગ્ર દિવસ દરમ્યાન તે આ વિચારને વાગોળ્યા કરશે અને તેમ તમે તે સુખને પોતા તરફ આકર્ષશે.
મનોવિજ્ઞાની જોસેફ મરફીએ નોંધ્યું છે કે તેમણે એક એવા ખેડૂતને જોયો હતો જે આખો દિવસ પ્રસન્ન દેખાતો, ગીતો ગણગણ્યા કરતો અને રમૂજો કરતો. મરફીએ તેને તેની પ્રસન્નતાનું કારણ પૂછ્યું તો ખેડૂતે જવાબ આપ્યો કે મને સુખી કરવાની તો મને ટેવ છે. સવારે જાગું ત્યારે અને રાત્રે સૂવા જાઉં તે પહેલાં હું મારા કુંટુંબને મારા પાકને, મારાં પશુઓને, ગામલોકોને આશિષ આપું છું અને ઈશ્વરનો ખૂબ આભાર માનું છું.
આ ખેડૂત છેલ્લા ચાલીસ વર્ષથી આ વિચારનો મહાવરો કરતો હતો. મનોવિજ્ઞાનના આ નિયમનો આપણને ખ્યાલ છે જ કે જે વિચાર નિયમિત રીતે અને પદ્ધતિસર વાગોળવામાં આવે છે, ફરી ફરીને વિચારવામાં આવે છે, તે આપણા આંતરિક મનમાં ઊતરે છે, પચે છે અને ટેવમાં પરિણમે છે. આ ખેડૂતને પણ ખબર પડી ગઈ હતી કે ‘સુખ તો ટેવ છે’ (Happiness is a habit)
બીજી વાતઃ સુખી થવા માટે સુખી થવાની ‘‘ઈચ્છા’’ કરવી પડશે. કેટલાક લોકો લાંબા વખતથી એવા ઉદાસીન થઈ ગયા હોય છે, તેમને દુઃખની એવી ટેવી પડી ગઈ હોય છે કે જો તેમને અદભુત, આનંદપ્રસદ, સમાચાર વડે સુખી કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેમની સ્થિતિ પેલી સ્ત્રી જેવી થશે જેણે આના પ્રત્યાઘાતરૂપે જવાબ આપ્યો હતો કે ‘સુખી થવું તે ખોટું છે.’’ તેઓ જૂની ટેવોની ઘરેડમાં એવા બંધાઈ ગયા હોય છે કે સુખના પ્રદેશમાં પારકાપણું અનુભવે છે.
એક વૃદ્ધા ઘણાં વર્ષોથી વાની દર્દી હતી. તે પોતાના ઘૂંટણને પંપાળતી અને કહેતી, ‘‘મારો વા આજે તો ભયંકર છે. હું બહાર નથી જઈ શકતી. તે મને દુઃખી કરે છે.’’ તેનું ધ્યાન તેના પુત્ર-પુત્રીઓ તથા પડોશીઓ રાખતાં હતાં, પણ વૃદ્ધાને તો વાગમી ગયો હતો. તેનું દુઃખ તે માણતી હતી. તેને એવી ટેવ પડી ગઈ હતી કે સુખી થવાની ઇચ્છા જ થતી ન હતી. તેને વિવિધ ઉપાયો બતાવવામાં આવ્યા, પ્રાર્થનાઓ શીખવવામાં આવી જેથી તેનું મનોવલણ બદલે. પણ તેને તેમાં રસ જ ન પડ્યો.
આવી મનોદશા ઘણા લોકોમાં હોય છે. તેઓ દુઃખનો શોખ રાખે છે. તેમને તેમાં જ મજા પડે છે. તેઓ એવું વિચારે છે કે ‘આજનો દિવસ ખરાબ છે અને મને નુકસાન જવાનું જ છે.’ ‘હું હંમેશાં મોડો જ પડું છું.’ ‘બીજાને સફળતા મળશે, પણ મને કદી નહીં મળે.’ આવું વલણ સવારના પહોરમાં જો કેળવાય તો તે સહજ રીતે મનમાં સ્થિર થશે અને વ્યક્તિ દુઃખી જ થવાની.
ખરેખર તો એવું વિચારવાનું છે કે જે વિશ્વમાં આપણે રહીએ છીએ તે આપણા મનમાં આવતા વિચાર વ્યવહારનું જ પરિણામ છે. રોમના તત્વજ્ઞાની રાજા સોલોમને કહ્યું છે ને કે ‘માણસનું જીવન એ તેના વિચારોથી બને છે.’ (Aman's life is what his thoughts make of it.) અમેરિકન વિચારક ઇમર્સન પણ એ મતલબનું વાક્ય જ કહે છેઃ ‘‘માણસ આખો દિવસ વિચારે તેવો બને છે.’’ જે પ્રકારના વિચારો મનમાં વારંવાર સેવવામાં આવે તે જ ભૌતિક પરિસ્થિતિમાં પરિણમે છે.
માટે જ કદી નકારાત્મક વિચારો ન કરવા, પરાજિત વિચારો ન કરવા; ઉદાસીન થવાય તેવું ચિંતન ન કરવું. મનને વારંવાર યાદ દેવડાવવું કે આપણે આપણી માનસિક સ્થિતિથી બહાર કશું અનુભવી નહીં શકીએ.
મોટા ભાગના લોકો એક બીજી ભૂલ પણ કરે છે તેઓ રેડિયો, ટીવી, મોટર, સ્કૂટર, વિશાળ બંગલો, સ્વિમિંગ પૂલ વગેરે દ્વારા સુખ મેળવવાનો વ્યાયામ કરે છે. પણ સુખ કદી આવી રીતે ખરીદી શકાતું નથી. સુખનું સામ્રાજ્ય તો વ્યક્તિના વિચારો તથા ભાવનામાં છે. સુખ માટે બાહ્ય પરિસ્થિતિ બદલાવવાની જરૂર નથી. કોઈ શહેરના મેયર બનો, ધંધાના મેનેજર બનો, વડા બનો તો સુખી થશો એવું માનવાની જરૂર નથી. સુખ તો માનસિક તથા આધ્યાત્મિક અવસ્થા છે. મનના દૈવી નિયમો સમજી તેને અનુકૂળ થવાથી જ સુખી થવાશે.
વચ્ચે વર્તમાનપત્રમાં એક સમાચાર આવ્યા હતા કે એક ઘોડો રસ્તાના એક ખૂણે આવ્યો ત્યારે ત્યાં પથ્થર જોઈ ખચકાઈ ગયેલો. પછી જ્યારે ત્યાં આવતો ત્યારે ઊભો રહેતો, ખેડૂતે પછી તો પથ્થરો ઉખેડી ફેંકી દીધેલા અને રસ્તો સરસ કરી નાખ્યો. છતાં 25 વર્ષ સુધી જ્યારે ઘોડો ત્યાંથી પસાર થતો ત્યારે ત્યાં ક્ષણભર પણ ખચકાઈ ઊભો રહેતો. કેમ ? પેલા પથ્થરની સ્મૃતિ તેના મનમાં જડાઈ ગઈ હતી.
સુખમાં પણ આવું જ છે. સુખ મેળવવા માટે કોઈ પથ્થર આપણી આડે નથી - સિવાય વિચાર કે કલ્પનામાં. એ વિચારવું કે કોઈ ભય આપણને નથી નડતોને ? કોઈ ચિંતા આપણને નથી નડતીને ? અને ચિંતા કે ભય આખરે મનનાં વિચાર જ છેને ! તેનો ઉપાય છે તેને મનમાંથી હાંકી કાઢી સફળતા, સિદ્ધિ વગેરેથી શ્રદ્ધા દ્વારા મનને પુનઃમજબૂત કરવું.
એક એવો વેપારી હતો જે ધંધામાં નિષ્ફળ ગયો. તેણે કહ્યું કે ‘મેં ભૂલો કરી, પણ હું ખૂબ શીખ્યો. હું પાછો તેમાં જઈશ. મને શ્રદ્ધા છે કે હું સફળ થઈશ જ.’’ તેણે પોતાના મનના માર્ગમાં પડેલા પથ્થરને પીછણ્યો. તે ભયભીત ન થયો. ન મૂંઝાયો. તેણે આ પથ્થરને ઉખેડી અને આંતરિક મનની શક્તિના બળે ભય - ચિંતા - ઉદાસીનતાને દૂર કર્યાં. તેનું સૂત્ર સાદું હતું, ‘પોતામાં માનો અને તમે સફળ થશો અને સુખી થશો.’
સુખ મેળવવાની છેલ્લી વાત.
સુખી વ્યક્તિ તે છે જે પોતાના શ્રેષ્ઠત્વને (best) સતત પ્રગટ કરે છે. શ્રેષ્ઠ લોકો જ સુખી લોકો છે, અને સુખી લોકો જ પોતાનું શ્રેષ્ઠત્વ પ્રગટ કરી શકે છે. આપણામાં રહેલ ઈશ્વર જ શ્રેષ્ઠ છે. દૈવી પ્રેમ, પ્રકાશ, સત્ય, સૌંદર્યને વધુમાં વધુ પ્રસરાવવામાં આવે તો વ્યક્તિ આ ક્ષણે વિશ્વની સૌથી સુખી વ્યક્તિ બનશે. માટે જ એપીક્યુરસ કહે છે ને, ‘‘મનની શાંતિ અને સુખનો એક જ ઉપાય છે. સવારે ઊઠો, આખો દિવસ કામ કરો કે રાત્રે સૂવા જાવ ત્યારે બાહ્ય પરિસ્થિતિની ચિંતા ન કરો. પણ તે સર્વ ઈશ્વરને અર્પણ કરો.’’
એટલે જ ગીતાનું આ વાક્ય મનમાં કોતરી રાખવું : ‘‘મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો દુશ્મન છે.’’
0 comments:
Post a Comment