પચાસી વટાવી ગયેલાં મા-બાપ પાસે સંતાનોની અપેક્ષ

(સાદર ઋણસ્વીકાર : વિકાસની ખોજમાંથી)
સંતાનો અભ્યાસ સાથે જીવન જીવવાની આવડત પણ મેળવતા જાય તે માટે મા-બાપ કાળજી લે છે. બાળક શાળા અને ટ્યુશન ઉપરાંત પોતાના સ્વાથ્ય માટે થઈ સરખું ખાય-પીવે અને રમે તે માટે વાલીઓ ચિંતિત હોય છે. ભાણતરની સાથોસાથ વિદ્યાર્થી સંગીત, ચિત્રકામ, ભરતગૂંથણની કલામાં માહિર થાય તો સહુને ગમે છે. બાળક સાઇકલ ચલાવતું થાય, પાણીમાં તરતાં શીખે, ટાઇપરાઇટર અને કમ્પ્યૂટર શીખે અને 15-16 વર્ષ પછી કિશોક-કિશોરી મા-બાપને ઘરકામમાં મદદ કરતાં થાય તો કુટુંબમાં પ્રસન્નતા વધે છે.

વાલી પોકાના બાળકના સ્વસ્થ વિકાસ માટે પ્રયત્નશીલ હોય છે, તો કોઈ કોઈ પોતાના અધૂરાં સ્વપ્નો બાળકના માધ્યમથી પૂરાં કરવાની ગડમથલમાં રહે છે. આમ છતાં બાળકોને કેવી રીતે મોટાં કરવાં અને બદલાતી સામાજિક પરિસ્થિતિ માટે તૈયાર કરવાં તે બાબતે પચાસી વટાવી ગયેલા વાલીઓમાં ઝાઝી શંકા ડે ડર હોતાં નથી.

પરંતુ લાઇફ બિગન એટ ફોર્ટી તેવી અંગ્રેજી રહન-સહેનમાં સરકી જનાર વડીલો ક્યારેક ભૂલી જાય છે કે ભારતીય સંસ્કૃતિમાં 16 વર્ષના સંતાનોને માતા-પિતાના મિત્ર ગણ્યાં છે.
વ્યક્તિ પચાસ વટાવી વનપ્રવેશના ક્ષેત્રમાં પહોંચે છે ત્યારે સંતાનો યુવાન બની જાય છે. રીટાયરમેન્ટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું હોય છે. આંખે બેતાળાં અન દાંતે કળતર ચાલુ થઈ હોય છે. ક્યારેક ડાયાબિટીસ તો ક્યારેક બ્લડપ્રેશરની દહેશત ડોકાં દે છે. આમ છતાં કેટલાક લોકો માને છે કે હજુ પૈસા ભેગા કરવા અને સંપત્તિ વિસ્તારવાનું કામ બાકી છે !!! ધંધા રોજગારને અમુક ઊંચાઈએ પહોંચાડવાનું બાકી છે !!! નોકરીમાં પ્રમોશન મેળવવાનું બાકી છે !!!
સમય સાથે શારીરિક સ્થિતિમાં બદલાવ આવે છે. સામાજિક સંદર્ભોમાં પણ બદલાવ આવતો હોય છે. આમ છતાં જીવનના પરિવર્તનને ન સ્વીકારનાર સમજણશક્તિમાં કંઈક અંશે બાળક જેવાં મા-બાપ માટે યુવાન વયે પહોંચેલા સંતાનો કાળજી લે તે અનિવાર્ય બને છે. અને આવા પીઢ યુવકો પોતાનાં મા-બાપ પાસે થોડી અપેક્ષા રાખે છે અને કહે છે કે અમારાં મા-બાપની ઉંમર 50થી વધુ થઈ હોવાથી અમે આશા રાખીએ છીએ કે તેઓ, પોતાના નિજી જીવનમાં અને રોજબરોજના વર્તનમાં કેટલીક બાબતોનો આગ્રહ રાખે અને જીવન પરિવર્તિત કરે.

(1)                 50 વર્ષ પૂરાં કરનારા માતા-પિતાના યુવાન સંતાનો ઇચ્છે છે કે પોતાના માતા-પિતા દર મહિને એકાદ સારું પુસ્તક વાંચે અને ઘરમાં તેની વાત કરે.
(2)                 માતા-પિતા વર્ષે એકાદ વખત પ્રવાસન સ્થળે એક અઠવાડિયું સાથે ગાળે.
(3)                 અઠવાડિયામાં એક દિવસ ફળ અને શાકભાજી આરોગી ઉપવાસ કરે અને ઉપવાસના દિવસે મૌન પાળે.
(4)                 રેસ્ટોરન્ટ કે ફિલ્મમાં એકલાં જવાનું ટાળે અને જવું પડે તેમ હોય તો ઘરનાં સભ્યોને પણ સાથે લઈ જાય.
(5)                 ટેલિવિઝન ઉપરના કાર્યક્રમ જોવામાં કે રેડિયો કાર્યક્રમ સાંભળવામાં પોતાની પસંદગીને આગળ કરવાના બદલે ઘરના સભ્યોની રુચિ સાથે જોડાય.
(6)                 સવારનું છાપું પહેલાં પોતે જ વાંચશે તેવો આગ્રહ છોડી ઘરના સભ્યોને અનુકૂળ થવાનું રાખે.
(7)                 ચટાકેદાર ગરમાગરમ ખાણાનો આગ્રહ છોડી ઓછા તેલ-મસાલા સાથેનું ખાણું લે.
(8)                 અવકાશના સમયે ભારતીય સંગીત સાંભળે.
(9)                 રાત્રે વહેલાં સૂવાનું રાખે.
(10)             તમાકું, સિગારેટ, પાન કે દારૂના વ્યસનથી મુક્ત થાય.
(11)             ઘરની સફાઈ, સજાવટ અને સાધનોની ખરીદીમાં દુરાગ્રહ રાખી નિર્ણય ન લે.
(12)             ઘરકામમાં શરીરશક્તિ અનુસાર મદદરૂપ થાય.
(13)             ઘરના અન્ય સભ્યોને મિત્રભાવે સલાહ આપે અને યુવાનોના ચરિત્ર ઉપર ભરોસો રાખે.
(14)             રાત્રે સૂતા પહેલાં 15 મિનિટ ઇશ્વરસ્મરણ કરે અને સવારે ઊઠીને 15-20 મિનિટ પ્રાણાયામ અને વ્યાયામ કરવાનો ક્રમ નિયમિતપણે પાળે.
(15)             સંતાનોનાં મિત્રો અને જીવનસાથીની પસંદગીમાં પોતાના ખ્યાલોને વળગી ન રહે.
(16)             કપડાં, ઘરેણાં અને મોજશોખ માટેની ચીજવસ્તુ પ્રત્યેનો મોહ ઓછો કરે અને સાદગીપૂર્ણ જીવન જીવવા તરફ ગતિ કરે.
(17)             પોતાની ભૂલ હોય તો કબૂલી લેવામાં અને કુટુંબીજનોની ક્ષમા માંગી લેવામાં ક્ષોભ ન રાખે.
(18)             પરિવારના સભ્યોના જન્મદિવસ અને લગ્નદિવસને યાદકરી શુભેચ્છા પાઠવે.
(19)             સુખ-દુ:ખના પ્રસંગોમાં કુટુંબીજનોને મદદરૂપ થવા તત્પર રહે.
(20)             કોઈ માટે ઘસાઈને ઊજળા થવા ને બીજાને ખપમાં આવી રાજી થવામાં પ્રસન્નતા અનુભવે.
(21)             સ્વમાનભેર જીવી શકાય તેટલી મિલકત ઉપર આધાર રાખી વધારાની જવાબદારીમાંથી મુક્ત થાય.
(22)             શેષ જીવનના એક મંત્રરૂપે ભાવશે, ફાવશે અને ચાલશેની રીત અપનાવે.
(23)             પોતાની સંપત્તિનું વસિયતનામું કરી નાખવું.
સામાજિક જીવન અવિરતપણે ચાલતું રહે તેમ ઇચ્છનાર તમામ નાગરિકે પરિપક્વ બવતાં પોતાના જીવનને સ્વ-પરિચય અર્થે, અને બીજાને સ્નેહથી ઉપયોગી થવાના કાર્યમાં જોડવું પડશે. એક સમયે પૈસા કમાવવામાં અને સંપત્તિ ખડી કરવામાં જે શક્તિ વપરાતી તે શક્તિને જીવનનાં શેષ વર્ષોમાં નિ:સ્વાર્થ હેતુ સાથે જોડવાથી વૃદ્ધાવસ્થાએ પહોંચતાં-પહોંચતાં જીવન વધુ આનંદિત અને પ્રેમસભર બની રહેશે. આખરે તો માનવદેહની પ્રપ્તિનું એ જ તો મૂળ લક્ષ છે !!!
પૈસા વિના જીવન ચાલતું નથી એ વ્યવહારુ હકીકત છે, પરંતુ અતિ ધનવાન માણસને પણ મૃત્યુ બાદ રૂપિયા પૈસાના બંડલથી બાળવામાં આવ્યો હોય તેવો એક પણ દાખલો સંસારમાં ઉપલબ્ધ નથી. આથી સંતાનોને ધન, પ્રતિષ્ઠા, સુવિધા અને વૈભવનો વારસો આપવાની ખેવનામાં વ્યક્તિ ભગવાને આપેલા માનવદેહમાં રહેલ ઐશ્વર્યને દૂર હડસેલી મૂકે તે અજુગતું ગણાશે.
50 વર્ષ પછીનાં 10 વર્ષમાં વ્યક્તિએ પોતાના ધંધા, વ્યવસાય, પદ અને સાંસારિક અવલંબનોથી દૂર થવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. 60થી 70 વર્ષના દસકામાં જીવનને અંતર્મુખ બનાવવા ધગશ રાખવી જોઈએ અને 80 વર્ષ પછી જીવનનું સાંનિધ્ય ઇશ્વર સાથે જોડી જીવનને ગહન ભક્તિ અને ચિંતનમાં દોરી જવું જોઈએ. પણ આ યાત્રાનો પ્રારંભ તો 50મા વર્ષથી જ થાય.

પૂ. વિમલાજીએ એક વાર્તાલાપમાં જણાવ્યું હતું કે, સાવધાનતા જીવનને સહજ બનાવે છે. સહજતામાં હળવાશથી જીવાય છે. જીવનનો થાક લાગતો નથી. જીવનની સંધ્યા ટાણે કામનાઓ પૂરી થવામાં હોય, જેથી એક પ્રકારની સુખ, શાંતિ અને નિરાંતનો અનુભવ થાય છે. વર્તમાનમાં જીવવું, સહજતાથી જીવવું અને આંતરનિરીક્ષણ કરવું. એમ થશે તો પ્રાપ્ત પરિસ્થિતિનો હસતે મોઢે સ્વીકાર કરી આગળ વધાશે.

જીવન માત્ર સંભાવનાઓ બક્ષે છે. આપણે સંભાવનાઓનું શું રૂપાંતર કરીશું તે આપણા ઉપર નિર્ભર છે. સુખની શ્લાધા નહીં, દુ:ખની નિંદા નહીં અને પ્રેમનો સ્વર જેના જીવનમાં હોય એના જીવનમાં પ્રાર્થના ખાસ દૂર હોતી નથી.

પરમાત્માની સત્તામાં આપણો જન્મ છે, એની સત્તાથી જીવન છે અને એ સત્તામાં પાછા ફરવું એને મૃત્યુ કહેવામાં આવે છે. માણસ છેક છેવટ સુધી પ્રેમ વરસાવતો રહે ત્યારે મૃત્યુ થકી માણસાઈનું મંદિર રચાય છે.

0 comments: