આત્મદર્શન

(સાદર ઋણસ્વીકાર : મારુતિમાંથી)

ખોડભાઈ પટેલ, આમ તો સાધારણ સ્થિતિના માણસ. પણ અમદાવાદમાં કામનો વસવાટ કરવાના આશયથી ગામનું એક ખેતર વેચી ગૃહમંડળીના સભ્ય થયા. મકાન તૈયાર થયું તે ગાળામાં ખેતી છોડી આવી શકાય તેમ ન હતું. એટલે મકાન ભાડે આપ્યું. બે-ત્રણ ચોમાસા નિષ્ફળ ગયાં એટલે કંટાળીને અમદાવાદવાળા મકાનમાં રહેવા આવી સ્થાયી થવાનો નિર્ણય કર્યો, પણ ભાડવાતે દાદ ન દીધી મકાનનો કબજો લેવા કોર્ટમાં જવું પડ્યું. કોર્ટ ભાડવાતની મુશ્કેલી સમજી મકાન ખાલી કરવા માટે બે વરસનો સમય આપ્યો. પટેલે ભાડાનું મકાન રાખી શાકભાજીનો નાનો ધંધો શરૂ કર્યો. ભાડવાત સાયકલના વેપારી હતા. આવેલ તકનો લાભ લેવા છેલ્લા એક વરસનું ભાડુ આપ્યું નહિ અને જ્યારે મકાન ખાલી કરવાનો ટાઇમ આવ્યો ત્યારે પટેલ પાસે પહોંચ માગી કે, ભાડુ ચુક્તે મળ્યાની પહોંચ આપો. એક વરસનું ભાડુ મળશે નહિ. પહોંચ મળ્યા પછી કબજો આપીશ. લાચારીના માર્યા પટેલે સમય પારખી પહોંચ લખી આપી. પોતાના ઘરમાં રહેવા આવ્યા પછી તેમના પુત્રની સગાઈના દિવસે પટેલે સત્યનારાયણ ભગવાનની કથા રાખી હતી. પટેલે પેલા ભાડવાતને પણ આમત્રંણ મોકલ્યું.

કથાના દિવસે સાંજે કથા ચાલતી હતી ત્યાં પેલા વેપારી પણ આવી પહોંચ્યા. કથા સાંભળી. આરતી, પ્રસાદ લીધા પછી તેમણે ભગવાનને વિનમ્રભાવે પ્રમાણ કરી સવા પાંચ રૂપિયા ભેટ ધર્યા. પ્રસાદ લઈ બધા વિખરાયા ત્યાં સુધી બેઠા અને બધાના ગયા પછી પટેલના હાથમાં એક કવર મૂક્યું. પટેલે ક્વર ખોલ્યું અને જોયું તો તેમાં પૂરાં પંદરસો રૂપિયાની નોટો હતી. પટેલ તેમના તરફ આશ્ચર્યચક્તિ થઈ તાકી રહ્યા. તેમણે પૂછ્યું, ‘‘આપે આ શાના પૈસા આપ્યા?’’

વેપારીએ કહ્યું ‘‘ભાઈ, તમારું એક વરસનું ભાડું બાકી હતું તેની તમારી પાસેથી પહોંચ લઈને ઘેર ગયા પછી મારા મનમાં અનેક વિચારો આવ્યા. તમારા ઘરમાં રહેવા આવેલો તે દિવસો યાદ આવ્યા. શરૂઆતમાં વેપારમાં પણ કસ ન હતો. કટોકટીના દિવસો હતા. ઉઘાર આપેલા માલના નાણા પાંછા મળતા ન હતા. ત્યાર પછી સમય બદલાયો વેપાર સારી રીતે ચાલવા માંડ્યો. ઉઘરાણી પણ આવવા લાગી. થોડીઘણી મૂડી પણ ભેગી કરી શક્યો. આ રીતે તડકા-છાંયાના ગણા દિવસો તમારા ઘરમાં જોયા છે. મારા નિત્યનિયમ મૂજબ દરરોજ રાત્રે સૂતી વખતે થોડાક સમય હું સાંતચિત્તે બેસી વિચારું છે કે આજે મે શું સારું કર્યું અને શું ખોટું કર્યું? દિવસ દરમિયાન કરેલ કાર્યોનો વિચાર કરવાની ટેવને લીધે ઘણી વાર સારા-નરસાનો વિચાર કરતાં ખોટું કરતાં અટકી ગયો છું. તમારી પાસેથી પહોંચ લઈ ઘેર ગયા પછી આખી રાત ઊંઘ આવી નહિ. તમારા પંદરસો રૂપિયા દબાવવાથી મને શું મોટો ફાયદો થવાનો? એક બાજુ પેસા અને બીજી બાજુ ઈશ્વરની અકૃપા. અંતરાત્માના આદેશે મને ચેતવ્યો. જે ઘરમાં સુખી થયો તે ઘરના માલિકને કદી નુકસાન કરવું નહિ તેવો સંકલ્પ દૃઢ થયો. પરંતુ શરમને લીધે આવી શકોતો ન હતો. આજે તમારા પુત્રની સગાઈના પ્રસંગે રાખેલ સત્યનારાણયની કથાનું આમંત્રણ મળતાં અહીં આવી શક્યો છું. આ પંદરસો રૂપિયા તમારા બાકી નીકળતા ભાડાના નહિ આપેલા તે આપું છું. તમારી જરૂરિયાતના સમયે તમને આપી ન શક્યો તે માટે માફી ચાહું છું. પેલા વેપારી સામે જોઈ પટેલ વિચારી રહ્યાઃ આ તે સ્વપ્ન કે સત્ય?

0 comments: