મનનો માળો (મોતીચારો ભાગ-2)


દૈવી પાંખો  

(સાદર ઋણસ્વીકાર : મનનો માળો ભાગ-2માંથી)
પરદેશના એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક વખત દાવાનળ ફાટી નીકળ્યો, સેંકડો કિલોમીટર્સમાં ફેલાયેલાં વૃક્ષો, છોડવાઓ તેમજ ઘાસ બળીને ભસ્મ થઈ ગયું. આગને ઠારતાં પણ થોડાક દિવસો લાગી ગયા. આગ સંપૂર્ણપણે ઠરી ગઈ પછી એ વિસ્તારના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પોતાના માણસો સાથે વન્ય જીવોની કેટલી ખુવારી થઈ છે તેનો અંદાજ લગાવવા માટે નીકળ્યો. એક પર્વત પર ચડતાં એમણે એક વિચિત્ર દૃષ્ય જોયું. બળીને સાવ ઠૂંઠા થઈ ગયેલા એક ઝાડ નીચે એક વિશાળ પક્ષી ઊભાં ઊભાં જ સળગી ગયું હતું. જાણે કોલસો જ બની ગયું હતું. ફોરેસ્ટ ઓફિસરે પોતાની લાકડીથી એ પંખીને આડું પાડ્યું. જેવું પંખી આડું પડ્યું કે તરત એની પાંખ નીચેથી ચીં... ચીં... કરતાં ત્રણ નાનકડાં અને થોડાક નબળાં પડી ગયેલાં બચ્ચાં નીકળી આવ્યાં. બધાંના આશ્ચર્ય વચ્ચે આટલી ભીષણ આગ વચ્ચે પણ એ જીવતાં રહ્યાં હતાં. એની માતાની દૈવી પાંખો નીચે એમને બરાબર રક્ષણ મળી શક્યું હતું. પેલી પક્ષી-માતાને ખબર જ હતી કે આગ બધે ફેલાવાની જ છે. આમેય પક્ષીઓને તો આની આગોતરી જાણ થઈ જતી હોય છે. એ ધારત તો ઊડીને દૂર પણ જઈ શકી હોત. પરંતુ પોતાનાં બાળકોને નોધારાં છોડી દેવાને બદલે એણે એમને પોતાની પાંખો નીચે ગોઠવી દીધાં હશે. જ્યારે અગ્નિની ઝાળ એને અડકી હશે ત્યારે પણ એ જરાક પણ હલી નહીં હોય, કારણ કે જો એ હલી જાય તો પાંખ નીચેથી બચ્ચાં બહાર આવી જાય. એ એમ જ ઊભાં ઊભાં જ સળગી ગઈ હશે. એનો નિશ્ચય કેવો દૃઢ અને અડગ હશે? એણે નક્કી કરી જ લીધું હશે કે એને મરવાનું જ છે, કારણ કે નાનકડી ત્રણ જિંદગીઓને હજુ જીવવાનું બાકી હતું...
આપણા અનેક અવતરો, મહાન પુરુષો તેમજ સરહદ પરના બહાદુર જવાનોએ આપણે શાંતિની જિંદગી જીવી શકીએ એ માટે આવી જ રીતે અગન-પિછોડી ઓઢી લીધી છે ને? એ દૈવી પાંખોનાં આપણે હંમેશ ઋણી રહીશું.

0 comments: